મા-બાપ પણ સમજે કે બાળમંદિરોમાં બાળકોને મોકલ્યાં એટલે તેમની જવાબદારી પૂરી થતી નથી. બાળક શિક્ષણસંસ્થામાં તો ત્રણથી ચાર કલાક રહેતું હોય છે. બાકીના ઓગણીસ વીસ કલાક તો ઘરમાં જ રહેતું હોય છે. ઘર અને શાળા વચ્ચે સુમેળ ના હોય તો શાળા જે કાંઈ પોતાના સમય દરમિયાન ચણે તે ઘરના સમય દરમિયાન પડી શકે.
બાળકના સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને વાલીઓ જો સાથે મળીને નહિ વિચારે અને પોતપોતાની રીતે દોરવણી આપે તો સંભવ છે કે, બાળકના મનમાં દ્વિધા ઉત્પન્ન થાય અને શું સાચું કે ખોટું તે નિર્ણય લેવો મુશ્કેલ બને. શિક્ષકો અને વાલીઓ જો એકબીજાના સહકારથી બાળકને યોગ્ય માર્ગદર્શન આપે તો જ બાળક સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી શકે.
તમે અને અમે બાળકના વાલીની જગ્યાએ છીએ. અમારી કોશિષ બાળકના ભણતર સાથે અન્ય પાસાઓનું ઘડતર કરવાની છે. તેના માટે આપના સાથ સહકારની હંમેશા જરૂર રહેશે. અને તે માટે દરેક તબક્કે સક્રીયતા જરૂરી છે. આપણે એક બીજાને સહન કરવાના નથી પરંતુ સ્વીકારવાના છે. અને તે સ્વીકાર ત્યારે જ સંભવ છે કે આપણે સમજીએ કે આપણે એકબીજાની અડચણ નહીં પરંતુ જરૂરીયાત છીએ.
અમારી સંસ્થાએ જે વચન આપ્યું છે તેને આગળ ધપાવવા માટે અમારી શાળાના સૌ કર્મચારીઓને સાથે રાખીને અમારી સંસ્થા સતત પ્રયત્ન કરે છે, કર્યા છે અને કરતા રહેશે. સૌ પૈકી જેમણે ગર્વ અને હિંમતસહ આગળ વધવાની આશા આપી છે તે સૌને બાલવંદના.